*ઝિમ્બાબ્વેના ડેપ્યુટી મિનિસ્ટર રાજ મોદીની મુલાકાત: સનાતન સંસ્કૃતિ પ્રચાર, નારી સશક્તિકરણ અને આંતરરાષ્ટ્રીય સહકાર* પર ચર્ચા

અમદાવાદ: સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ મહિલા સંગઠન સમિતિના માર્ગદર્શક પરમ પૂજ્ય મુક્તાનંદજી બાપુ તથા સંસ્થાની મહિલા પ્રમુખ ઉષા કપૂરને ઝિમ્બાબ્વેના ડેપ્યુટી મિનિસ્ટર ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સ, શ્રી રાજ મોદીએ સૌજન્ય મુલાકાત લીધી.

આ મુલાકાત દરમિયાન શ્રી રાજ મોદીએ પૂજ્ય બાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને ગુજરાત તથા ઝિમ્બાબ્વે વચ્ચે સનાતન સંસ્કૃતિના પ્રચાર-પ્રસારને મજબૂત બનાવવાના માર્ગો વિશે ચર્ચા કરી. સાથે જ નારી સશક્તિકરણના વિવિધ પ્રોજેક્ટ્સ પર વિશેષ કામ કરી શકાય તે અંગે પણ વિચાર વિનિમય થયો. શ્રી મોદીએ પૂજ્ય બાપુ તથા સંસ્થાના પ્રતિનિધિઓને ઝિમ્બાબ્વે આવવાનું આમંત્રણ પાઠવ્યું.

પૂજ્ય મુક્તાનંદજી બાપુએ મુલાકાત દરમિયાન જણાવ્યું કે “સનાતન સંસ્કૃતિ પ્રેરણા આપે છે કે જીવન સરળ બનાવો, સત્યના પંથ પર ચાલો, સાદગીભર્યું જીવન જીવો અને ઉચ્ચ વિચારો અપનાવો.” તેમણે ઉમેર્યું કે સનાતન ધર્મમાં સર્વ પ્રાણીઓ પ્રત્યે સદભાવ રાખવાનો સંદેશ છે, જે સમાજમાં આત્મીયતા, પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ અને માનવતાની મહેક ફેલાવે છે.

સનાતન સંસ્કૃતિના પ્રસારથી માણસોમાં સંબંધોનું મૂલ્ય સમજવાની ભાવના મજબૂત બને છે, દાયિત્વ નિભાવવાની પ્રેરણા મળે છે અને ડિપ્રેશન જેવી આધુનિક બીમારીઓથી દૂર રહેવામાં મદદ મળે છે.

ઝિમ્બાબ્વેના ડેપ્યુટી મિનિસ્ટર શ્રી રાજ મોદીએ ભારત તથા ગુજરાત સાથે સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે મજબૂત સહકારની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે સનાતનના આદર્શો માનવતા, પર્યાવરણ જતન અને સુખ-સમૃદ્ધિ માટે કોઈપણ દેશમાં લાભદાયક સાબિત થઈ શકે છે.