રાજ્યમાં થઇ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે હવે રાજયમાં અતિવૃષ્ટિના કારણે તારાજીના દૃશ્ય સર્જાઇ રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી ૧૨૦ ટકા વરસાદ વરસ્યો છે અને કચ્છમાં ૨૫૧.૬૬ ટકા વરસાદ પડયો છે. જો કે મધ્યપ્રદેશમાં પડેલા વરસાદને પગલે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક મોટે પાયે થતાં નર્મદાના કાંઠા વિસ્તારો જળબંબાકાર જેવી સ્થિતી હાલમાં છે.
રાહત કમિશનર ડો. હર્ષદ પટેલે સમીક્ષા બેઠક બાદ કહ્યું કે, આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટશે તેવી હવામાન વિભાગની આગાહી છે. હાલ ૧૩ NDRFની ટીમો અને SDRFની બે ટીમો સંબધીત જિલ્લાઓમાં તૈનાત છે. તે ઉપરાંત NDRF-SDRFની અન્ય ૧૧ ટીમો સ્ટેન્ડબાય-રિઝર્વ રાખવામાં આવી છે. રાજ્યમાં ૯૪ તાલુકાઓ એવા છે કે જેમાં મોસમનો ૧૦૦૦ મીમી થી વધુ વરસાદ વરસ્યો છે. એ જ રીતે ૧૩૩ તાલુકાઓમાં ૫૦૧ થી ૧૦૦૦ મીમી સુધી, ૨૪ તાલુકાઓમાં ૨૫૧ થી ૫૦૦ મીમી સુધી અને ૨૫૦ મીમીથી ઓછો વરસાદ વરસ્યો હોય તેવા એક પણ જિલ્લા નથી. આમ સમગ્ર રાજ્યમાં મોસમનો સરેરાશ વરસાદ ૧૧૯.૭૮ ટકા થઈ ગયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૨૫૧.૬૬ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૬૨.૬૪ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૧૦૨.૪૫ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૦૧.૭૨ ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં ૮૭.૫૬ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
પટેલે ઉમેર્યુ કે, રાજ્યમાં થયેલા સારા વરસાદના પરિણામે સરદાર સરોવર ડેમમાં હાલ ૨,૬૭,૦૧૦ MCFT જળસંગ્રહ થયો છે, જે કુલ સંગ્રહશક્તિના ૭૯.૯૨ ટકા જેટલો છે. હાલ ૧૩૮.૬૮ મીટરે જળ સપાટી છે. તે ઉપરાંત રાજ્યના ૨૦૫ જળાશયો પૈકી ૧૫૪ જળાશયો હાઇ એલર્ટ પર, ૧૨ જળાશયો એલર્ટ પર અને ૧૨ જળાશયો વોર્નિંગ ઉપર છે. ૧૦૦ ટકાથી વધુ ભરાયેલા ડેમ ૧૦૩ છે. રાજ્યમાં કુલ ૬૨ નદીઓ અને ૭૮ મોટા તળાવ ઓવરફલો થયા છે. રાજ્યમાં ૧૩ ઓગષ્ટ-૨૦૨૦થી આજ દિન સુધીમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ૧૯,૫૨૩ નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા તેમજ રાજ્યમાં થયેલા સારા વરસાદને પરિણામે ૯૭.૧૪ ટકા વાવેતર થઇ ગયું છે.