ભવિષ્ય માલિકાના રચયિતા પંડિત ડો. કાશીનાથ : ૨૦૩૨થી કલકી અવતારની પ્રતીતિ અને નવા યુગના એંધાણ

અમદાવાદ: શહેરના પિરાણા રોડ સ્થિત શ્રી નિમ્બાર્ક નારાયણ તીર્થધામ પ્રેરણા પીઠ ખાતે આજે પ્રાચીન જ્ઞાનના સંશોધક અને ‘ભવિષ્ય માલિકા’ પુરાણના રચયિતા પંડિત ડો. કાશીનાથ મિશ્રાજી ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે તેમણે પ્રાચીન ગ્રંથોના આધારે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ, ત્રીજા વિશ્વયુદ્ધની સંભાવનાઓ અને કળિયુગના અંત બાદ આવનારા ‘રામ રાજ્ય’ વિશે અત્યંત ચોંકાવનારા ખુલાસાઓ કર્યા હતા.

 પંડિતજીએ જણાવ્યું હતું કે, ભવિષ્ય માલિકાના શાસ્ત્રો મુજબ વર્ષ ૨૦૩૨થી કલકી અવતારના પ્રાદુર્ભાવની પ્રતીતિ થવા લાગશે. કળિયુગના ૫૦૦૦ વર્ષ પૂર્ણ થતા આ પરિવર્તનકારી સમયની શરૂઆત થશે. તેમણે પવિત્ર જગન્નાથ પુરી મંદિર સાથે જોડાયેલા કેટલાક ચિંતાજનક સંકેતો વિશે વાત કરી હતી, જેમ કે અરુણ સ્તંભ અને નીલ ચક્ર પર ગીધ પક્ષીનું બેસવું, મંદિરમાંથી ચૂનો નીકળવો અને પથ્થરો પડવા.

આ સંકેતો કળિયુગના અંત અને મોટા ફેરફારો તરફ ઈશારો કરે છે. ડૉ. મિશ્રાએ ઉલ્લેખ કર્યો કે ૬૦૦ વર્ષ પૂર્વે પંચસખા દ્વારા રચાયેલ ગ્રંથોમાં વર્તમાન ભૌગોલિક અને રાજકીય સ્થિતિનું સચોટ વર્ણન છે. આગામી સમયમાં દુકાળ અને કુદરતી આફતો બાદ ફરીથી ‘રામ રાજ્ય’ની સ્થાપના થશે.

 તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભગવાનનું અવતરણ માત્ર માનવજાત માટે જ નહીં પરંતુ બ્રહ્માંડના તમામ જીવોના કલ્યાણ માટે હોય છે. પરમ ભક્તિ દ્વારા જ ચિર સુખ પ્રાપ્ત કરી શકાય છે. સમગ્ર આયોજન કાનન જોષી સહિતના ભક્તજનો દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *