સામાજિક ક્રાંતિ અને સમરસતાના ભાગરૂપે ગુજરાતના તમામ સમાજ/જ્ઞાતિના આર્થિક રીતે જરૂરિયાતમંદ અને તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સહાય પૂરી પાડવાના ઉદ્દેશથી સરદારધામ દ્વારા “ડૉ. ચિતરંજનભાઈ પટેલ (USA) ઉચ્ચ શિક્ષણ સહાય યોજના” કાર્યરત છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૬–૨૭ અંતર્ગત આ યોજના હેઠળ કુલ ૧,૧૫૦ વિદ્યાર્થીઓને રૂ. ૫ કરોડની ઉચ્ચ શિક્ષણ સહાય આપવામાં આવશે. વિવિધ ઉચ્ચ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક જરૂરિયાત અને મેરિટના આધારે આ સહાય આપવામાં આવી રહી છે.
અભ્યાસક્રમવાર વિદ્યાર્થીઓની વિગતોમાં મેડિકલ માટે ૨૦૫ વિદ્યાર્થીઓ, એન્જિનિયરિંગ / IIT / આર્કિટેક્ચર માટે ૬૬૧ વિદ્યાર્થીઓ, ફાર્મસી માટે ૨૯ વિદ્યાર્થીઓ, અન્ય સાયન્સ સ્ટ્રીમ માટે ૩૧ વિદ્યાર્થીઓ તેમજ BCA અને અન્ય જનરલ સ્ટ્રીમ માટે ૨૨૪ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.આ સમગ્ર શિક્ષણ સહાય યોજનાને સફળ બનાવવા માટે શ્રી ચીમનભાઈ જે. અગ્રવાલ, ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશન, AIA CSR ફાઉન્ડેશન, મેઘમણી પરિવાર તથા શ્રી પુનમચંદભાઈ પટેલ સહિતના દાતાશ્રીઓનો મહત્વપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો છે.
શિક્ષણ સહાયના ચેક વિતરણ માટે તા. ૨૯ ઓગસ્ટ, ૨૦૨૬ શનિવારના રોજ બપોરે ૨:૦૦ કલાકે સરદારધામ, અમદાવાદ ખાતે “શિક્ષણ સહાય યોજના ચેક વિતરણ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓની ઉપસ્થિતિ રહી તેમજ રૂ. ૫ કરોડના ફંડમાંથી મેરિટ મુજબ પસંદગી પામેલ ૧૧૫૦ વિદ્યાર્થીઓને નિયત રકમની શિક્ષણ સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા.
સરદારધામનો મુખ્ય ઉદ્દેશ સર્વ સમાજના આર્થિક રીતે જરૂરિયાતમંદ અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે યોગ્ય તક અને પ્રોત્સાહન પૂરું પાડવાનો છે. શિક્ષણ સહાય યોજનાના માધ્યમથી વિદ્યાર્થીઓના શૈક્ષણિક સપનાઓને નવી દિશા અને નવી ઊંચાઈ મળે તથા તેઓ સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપી શકે તે માટે સરદારધામ સતત કાર્યરત છે.
આ મહત્વપૂર્ણ શિક્ષણલક્ષી પહેલની માહિતી સમાજના વધુમાં વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓ સુધી પહોંચે તે હેતુ છે.
